અમરેલી લેટરકાંડ – સૌરાષ્ટ્ર ભાજપના દિગ્ગજ નેતાનું નામ આવતા સીધો CM ને લખ્યો પત્ર

By: nationgujarat
03 Feb, 2025

અમરેલી લેટર કાંડને લઈને સૌથી મહત્વના સમાચાર સામે આવ્યો છે. પોતાનું નામ ઉછળતા ભાજપના નેતા દિલીપ સંઘાણીએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે. જેમાં અમરેલી લેટર કાંડની હાઈકોર્ટનાં નિવૃત જજની અધ્યક્ષતામાં તપાસ કરવા નેતાએ માંગ કરી છે. તેમણે કહ્યું કે, આ બાબત અત્યંત ગંભીર બાબત કહી શકાય. અમરેલી પોલીસે પોતાની જાતે, પોલીસના કોઈ ઉચ્ચ અધિકારી અથવા તો કોઈ રાજકીય પદાધિકારીના કહેવાથી આ કાર્યવાહી કરેલ હોઈ શકે તેમ મારું માનવુ છે.

નેતાએ પત્રમાં શું લખ્યું
અમરેલીના તાજેતરના બનાવ અંગે ઇલેક્ટ્રોનિક્સ તથા પ્રિન્ટ મીડીયાના અહેવાલથી મને જાણ થયેલ કે અમરેલી તાલુકા પંચાયત ના પ્રમુખ કીશોરભાઈ કાનપરીયા દ્વારા પોલીસમાં ફરિયાદ દાખલ કરેલ તેમાં અમરેલી પોલીસ દ્વારા અમરેલી તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખ મનિષભાઇ વધાશીયા, એક મહિલા સહીત કુલ ૪ વ્યક્તિની ધરપકડ કરેલ હતી અને જ્યારે તેઓ પોલીસ કસ્ટડીમાં હતા ત્યારે તેઓને માર મારી કિશોરભાઈ કાનપરીયાના કહેવાતા આ પત્ર લખાવવા માટે મારુ તથા અન્ય ભાજપા આગેવાનના નામ આપવા દબાણ કરેલ તેવી હકીકત મનિષભાઇ વઘાશીયાએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવેલ. જે મેં મીડિયાના માધ્યમથી જોયેલ. જે અત્યંત ગંભીર બાબત કહી શકાય. અમરેલી પોલીસે પોતાની જાતે, પોલીસના કોઈ ઉચ્ચ અધિકારી અથવા તો કોઈ રાજકીય પદાધિકારીના કહેવાથી આ કાર્યવાહી કરેલ હોઈ શકે તેમ મારુ માનવુ છે. વધુમાં, કોઈ સામાન્ય વ્યક્તિના ઇશારે પોલીસ આ પ્રકારનું કૃત્ય ન જ કરે. આ કેસમાં કહેવાતા સાચા કે ખોટા પત્ર સાથે મારે કોઈ લેવા દેવા નથી. આ બાબતે સત્યતા બહાર લાવવા મારે હું પોતે નાર્કો ટેસ્ટ કરવા તૈયાર છું, તેમજ ફરિયાદી અને આ કેસ સાથે જોડાયેલા અન્ય ૨-૪ વ્યક્તિના પણ નાર્કો ટેસ્ટ થવા જોઇએ જેથી વાસ્તવિક હકીકત સુધી પહોંચવામાં સરળતા રહે. સરકાર પોલીસની ગેરકાયદેસર રાત્રે મહિલાની ધરપકડ છાવરે છે તે હકીકત ખોટી છે. સરકાર સત્ય બહાર લાવવા તમામ પ્રકારની કાનૂની કાર્યવાહી કરાવી રહે છે તે હકીકતની લોકો ને પ્રતીતિ કરાવવી જરૂરી છે. જે ગંભીરતાને જોતા આ કેસની તપાસ હાઈકોર્ટના સીટિંગ અથવા નિવૃત્ત જજ દ્વારા તપાસ કરવામાં આવે તેવી મારી માંગણી છે.

કોણે લીધું દિલીપ સંઘાણીનું નામ
અમરેલી લેટરકાંડ મુદ્દે પૂર્વ યુવા પ્રમુખ મનીષ વઘાસીયા, અશોક માંગરોળીયા, જીતુ ખાત્રા દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. જેમાં પૂર્વ હોદેદાર મનીષ વઘાસીયાએ કહ્યું કે, પોલીસે મને મારી માર્યો રિકન્સ્ટ્રક્શનમાં કૌશીક વેંકરીયાના પી.એ સહિતની હાજરી હતી. મને પોલીસે પૂછપરછ કરી માર મારવામાં આવ્યો હતા. જેમા દિલીપભાઈ સંઘાણી, મુકેશભાઈ સંઘાણી,નારણભાઈ કાછડીયા હતા? બધા પાછળ છે કે કેમ પાયલ ગોટીએ ડીજીપીમાં ફરિયાદ કરી છે કેમ પગલાં લીધા નથી જે સામેલ છે તે લોકોને સસ્પેન્ડ કરવા જોઈએ.

લેટરકાંડ મુદ્દે અગાઉ પાયલ ગોટીએ ડીજીપીને ફરિયાદ અરજી કરી છે જેમાં સ્પષ્ટ કર્યું હતું કે, મનીષ વઘાસીયાના કહેવાથી ટાઈપિંગ કર્યો હતો. જ્યારે કે, મીડિયાને સંબોધતા મનીષ વઘાસીયાને લેટર લખ્યો કોને તે અંગે જવાબ આપવા નું ટાળ્યુ હતું.


Related Posts

Load more